કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.
કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.
પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.
કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.
જૈન શાસન જયવન્તુ વર્તો !!
કલ્પતરુ સમાન કલ્પસૂત્રની દસ વિશેષતાઓ કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૃરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે કોઈપણ ધર્મ એની આગવી પરંપરા ધરાવતો હોય છે. જૈન ધર્મનાં સાધુ-સાધ્વીઓના આચારપાલન અને એથી ય વિશેષ તીર્થંકરોનું ચરિત્રએ એનો પાયો છે. ધર્મની સમગ્ર ઇમારતીના પાયાની પહેચાન એટલે કલ્પસૂત્ર ગ્રંથ. એ મૂળભૂત તત્ત્વો અને મર્મોની ઓળખ પ્રાપ્ત થાય પછી જ ધર્મપ્રવેશ શક્ય બને. આથી કલ્પસૂત્ર ગ્રંથ જેમ અધ્યાત્મનાં ઉચ્ચ શિખરોની ઝાંખી કરાવે છે, એ જ રીતે એમાં જ્ઞાાન અને ઉપદેશનો સાગર લહેરાય છે. કલ્પસૂત્ર એ આચાર ગ્રંથ હોવાથી એમાં સાધુઓ અને શ્રાવકોને માટે જાગૃતિપૂર્ણ આચારનું આલેખન, ગહન ઉપદેશ અને ઊંડી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંથી થોડી વિગતો પર દ્રષ્ટિપાત કરીએ.
પહેલી વિશેષતા એ છે કે સ્વપ્નપાઠકો ત્રિશલામાતાને આવેલાં સ્વપ્નોનું રહસ્ય પ્રગટ કરતાં પૂર્વે સ્વપ્ન શાસ્ત્રમાં આલેખાયેલાં ૭૨ પ્રકારનાં સ્વપ્નો વિશે વાત કરીને ભૂમિકા બાંધે છે. આમાં ત્રીસ સ્વપ્નો ઉત્તમ ફળને આપનારાં કહ્યાં છે. આ ત્રીસ સ્વપ્નો છે ઃ (૧) અર્હન્, (૨) બોદ્ધ, (૩) હરિકૃષ્ણ, (૪) શંભુ, (૫) બ્રહ્મા (૬) સ્કંદ, (૭) ગણેશ, (૮) લક્ષ્મી, (૯) ગૌરી, (૧૦) નૃપ, (૧૧) હસ્તી, (૧૨) ગૌ, (૧૩) વૃષભ, (૧૪) ચંદ્ર, (૧૫) સૂર્ય, (૧૬) વિમાન, (૧૭) ગેહ, (૧૮) અગ્નિ, (૧૯) સ્વર્ગ, (૨૦) સમુદ્ર, (૨૧) સરોવર, (૨૨) સિંહ, (૨૩) રત્નરેલ, (૨૪) ગિરિ, (૨૫) ધ્વજ, (૨૬) પૂર્ણઘટ, (૨૭) પુરીષ, (૨૮) માંસ, (૨૯) મત્સ્ય અને (૩૦) કલ્પવૃક્ષ.
બીજી વિશેષતા એ કે કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જીવનચરિત્રમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી જોઈએ. તેમના વંશનું નામ જ્ઞાાતૃવંશ હતું અને ગોત્ર કાશ્યપ હતું. એમના કાકાનું નામ સુપાર્શ્વ અથવા સુપથ્ય હતું. મોટા ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના, બહેનનું નામ સુદર્શના, જમાઈનું નામ જમાલિ અને મામાનું નામ ચેટક (ચેડા રાજા) હતું.
ત્રીજી બાબત એ છે કે કલ્પસૂત્રમાં આલેખાયેલા તીર્થંકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૃરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે. દરેક કાળનો સમય દસ ક્રોડાક્રોડી સાગરોપમ છે. એક કાળચક્ર વીસ ક્રોડાક્રોડી સાગરોપમનું થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી વારાફરતી આવ્યા કરે છે. ઉત્સર્પિણીકાળના છ આરા અને અવસર્પિણીકાળના છ આરા એમ કુલ બાર આરા થાય. ઉત્સર્પિણીકાળમાં આયુષ્ય, બુદ્ધિ, ઊંચાઈ, બળ, ધર્મ વગેરે વધતાં જાય, જ્યારે અવસર્પિણીકાળમાં એ બધાં જ ઉત્તરોત્તર ઘટતાં જાય. અત્યારે ભરતક્ષેત્રમમાં અવસર્પિણીકાળ ચાલી રહ્યો છે.
અવસર્પિણીકાળના આ પ્રમાણે છ આરા છે ઃ ૧. સુષમ – સુષમ, ૨. સુષમ, ૩. સુષમ-દુષમ, ૪. દુષમ-સુષમ, ૫. દુષમ, ૬. દુષમ-દુષમ.
ચોથી વાત એ કે ચોવીસ તીર્થંકરોનો ગર્ભકાળ જુદો જુદો છે ઃ ૧. શ્રી ઋષભદેવ પ્રભુ (૯ મહિના ચાર દિવસ), ૨. શ્રી અજિતનાથ પ્રભુ (૮ મહિના ૨૫ દિવસ), ૩. શ્રી સંભવનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ), ૪. શ્રી અભિનંદન પ્રભુ (૮ મહિના ૨૮ દિવસ), ૫. શ્રી સુમતિનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ), ૬. શ્રી પદ્મપ્રભુ (૯ મહિના ૬ દિવસ), ૭. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન (૯ મહિના ૧૯ દિવસ), ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી (૯ મહિના ૭ દિવસ), ૯. શ્રી સુવિધિનાથ સ્વામી (૮ મહિના ૨૬ દિવસ), ૧૦. શ્રી શીતલનાથ પ્રભુ(૯ મહિના, ૬ દિવસ), ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી (૯ મહિના ૬ દિવસ), ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી (૮ મહિના ૨૦ દિવસ), ૧૩. શ્રી વિમલનાથ ભગવાન (૮ મહિના ૨૧ દિવસ), ૧૪. શ્રી અનંતનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ), ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી (૮ મહિના ૨૬ દિવસ), ૧૬. શ્રી શાંતિનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ), ૧૭. શ્રી કુંથુનાથ ભગવાન (૯ મહિના ૫ દિવસ), ૧૮. શ્રી અરનાથ પ્રભુ (૯ મહિના ૮ દિવસ), ૧૯. શ્રી મલ્લિનાથ પ્રભુ (૯ મહિના ૭ દિવસ), ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી (૯ મહિના ૮ દિવસ), ૨૧. શ્રી નમિનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ), ૨૨. શ્રી નેમનાથ ભગવાન (૯ મહિના ૮ દિવસ), ૨૩. શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૯ મહિના ૬ દિવસ), ૨૪. શ્રી મહાવીર સ્વામી (૯ મહિના સાડા સાત દિવસ).
પાંચમી વાત એ છે કે શ્રી પાર્શ્વપ્રભુ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વૈશાખ વદ ૧૧ના દિવસે વિશાખા નામની પાલખીમાં બેસીને પંચમુષ્ટિ લોચ કર્યો. એ સમયે તેઓને અઠ્ઠમનું તપ હતું. એમણે ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી અને એ જ વખતે મનઃ પર્યવ જ્ઞાાન પ્રગટ થયું. શ્રી પાર્શ્વપ્રભુએ છદ્મસ્થપણે ૮૪ દિવસની સાધના કરી. તેઓનું આયુષ્ય સો વર્ષનું હતું. ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં, ૮૪ દિવસ છદ્મસ્થ અવસ્થામાં અને ૭૦ વર્ષમાં ૮૪ દિવસ ઓછા તેટલો સમય કેવલી પર્યાયમાં ગાળ્યો. એકસો વર્ષ પૂર્ણ થતાં સમેતશિખર ઉપર ૩૩ સાધુઓ સાથે માસક્ષમણનું તપ પૂર્ણ કરીને મોક્ષે પધાર્યા. એમના નિર્વાણબાદ ૧૨૩૦ વર્ષે કલ્પસૂત્રનું લેખનકાર્ય થયું.
જ્યારે છઠ્ઠી બાબત એ કે શ્રી નેમિનાથ ભગવાનનાં પાંચેય કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયાં. આસો વદ અમાસના દિવસે ગિનાર પર્વતના શિખર ઉપર વેતસ નામના વૃક્ષ નીચે કેવળજ્ઞાાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં.
સાતમી વાત એ કે શ્રી ઋષભદેવ ભગવાનનાં ચાર કલ્યાણકારી ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાાન ઉત્તરાષાઢા નક્ષત્રોમાં થયાં. જ્યારે પાંચમું મોક્ષ કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું. તેઓએ રાજ્યાવસ્થામાં પુરુષો માટેની ૭૨ કળાઓ અને સ્ત્રીઓ માટેની ૬૪ કળાઓમાં ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, કાવ્ય, ગજા રોહણ, શાસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર સંસ્કૃત- સ્મૃતિ, વૈદક, આગમ, ઇતિહાસ જેવી ૭૨ કળાઓ શીખવી. એમણે એમની પુત્રી બ્રાહ્મીને હંસ લિપિ વગેરે ૧૮ લિપિ શીખવી અને બીજી પુત્રી સુંદરીને દશાંશ ગણિત શીખવ્યું. જ્યારે સ્ત્રીઓને નૃત્ય, ચિત્ર, વાજિંત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાાન, વિજ્ઞાાન, ધર્માચાર, કેશબંધ જેવી ૬૪ કળાઓ શીખવી. કલ્પસૂત્રની
આઠમી બાબત એ કે ભગવાન મહાવીરનાં જુદાં જુદાં નામો આ પ્રમાણે છે ઃ ૧. શ્રમણ, ૨. મહાવીર, ૩. વૈશાલિક (વિશાળા નગરીના ઉપનગર ક્ષત્રિયકુંડ ગ્રામમાં જન્મ્યા હતા.), ૪. મુનિ (દીર્ઘકાળ સુધી મૌન પાળનારા), ૫. માહણ (ખરા બ્રાહ્મણની જેમ જીવન વિતાવનાર), ૬. કાશ્યપ (ગૌત્ર પરથી), ૭. દેવાર્ય (ભગવાન મહાવીર ગામડાંઓમાં વિચરતા ત્યારે ગોવાળિયા વગેરે સાધારણ લોકો તેમને દેવાર્ય કહીને સંબોધતા હતા.), ૮. દીર્ઘ તપસ્વી, ૯. વીર અને ૧૦. અંત્ય કાશ્યપ (કાશ્યપ ગોત્રના છેલ્લા તીર્થંકર).
નવમી બાબત એ કે કલ્પસૂત્રની ઘણી કંડિકાઓમાં ‘તેણં કાલેણં તેણં સમએણં સમણે ભગવં મહાવીરે…’ વાક્યખંડ વારંવાર પ્રયોજાયો છે. ‘તે કાળે, તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરે…’ જેવો અર્થ ધરાવતું આ વાક્ય વારંવાર આવે છે, છતાં એ પુનરાવર્તન નહીં લાગે. એના શ્રવણથી શ્રોતા એક પ્રકારના તાદ્રશ્યનો અનુભવ કરે છે. આલેખાતી ઘટના શ્રોતાને માનસપ્રત્યક્ષ થઈ જાય છે. આ પંક્તિઓના પુનઃ પુનઃ શ્રવણથી ભાવની દ્રઢતા સધાય છે અને હૃદયમાં ઉલ્લાસ અનુભવાય છે. અર્ધમાગધી ભાષામાં લખાયેલી આ લલિત કોમલ પદાવલિ પ્રભુ મહાવીરની વાણીનું સ્મરણ કરાવે છે. મધુર પણ સઘન અને માહિતીપૂર્ણ. કિંતુ હૃદયસ્પર્શી રીતે લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ ઘૂંટીઘૂંટીને લખાયો હોય તેમ પ્રયોજાયો છે. કલ્પસૂત્રની દસમી વિશેષતા એ કે એમાં જુદા જુદા અનેક વિષયોનું વર્ણન મળે છે. એમાં મુખ્યત્વે સાધુસાધ્વીઓના આચારોનું આલેખન મળે છે. ચાતુર્માસ, પ્રતિક્રમણ, ગોચરી અને સાધુ-સાધ્વીને વંદન જેવા દસ મુખ્ય આચારોની વાત કરવામાં આવી છે.
એના વિષયોની વહેંચણી પણ વ્યાખ્યાન પ્રમાણે કરવામાં આવી છે. જેમ કે
(૧) પહેલા વ્યાખ્યાનમાં ૧૦ કલ્પ, કલ્પમહિમા તથા નમુત્થુણંનો સમાવેશ થાય છે.
(૨) બીજા વ્યાખ્યાનમાં દસ અચ્છેરા તથા ભગવાન મહાવીરના ૨૮ પૂર્વ ભવોનું વર્ણન છે.
(૩) ત્રીજા વ્યાખ્યાનમાં ૧૪ સ્વપ્નોનું વર્ણન હોવાની સાથે સ્વપ્નશાસ્ત્રાદિ મુખ્યત્વે છે.
(૪) ચોથા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનાં માતા-પિતા ત્રિશલાદેવી, સિદ્ધાર્થરાજા આદિની જીવનચર્યા તથા પ્રભુના જન્મનું વર્ણન આલેખાયું છે.
(૫) પાંચમા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનો જન્મોત્સવ, પાઠશાળાગમન, લગ્ન તથા દીક્ષાદિનું વર્ણન છે.
(૬) છઠ્ઠા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરને થયેલા ઘોર ઉપસર્ગોનું વર્ણન મળે છે.
(૭) સાતમા વ્યાખ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવનાં જીવનચરિત્રો તથા વીસ જિનના આંતરાકાળનું વર્ણન વિશેષ છે.
(૮) આઠમા વ્યાખ્યાનમાં સ્થવિરાવલિ વર્ણવવામાં આવે છે. ભગવાન મહાવીર પછી ૧૧ ગણધરો અને તેમની એક હજાર વર્ષની પાટ પરંપરાના શિષ્ય-પ્રશિષ્યાદિ મહાપુરુષોનું ઐતિહાસિક વર્ણન છે.
(૯) નવમા વ્યાખ્યાનમાં સમાચારી-શ્રમણોની આચાર-વિચારની સંહિતાની સમજણ છે. આ પ્રમાણે નવ વ્યાખ્યાનોમાં સંપૂર્ણ કલ્પસૂત્ર આવરી લેવાયું છે. એ નવ વ્યાખ્યાનો પર્યુષણ મહાપર્વના આઠ દિવસોમાં વંચાય છે.
