ગિરનાર જૈન તીર્થ | गिरनार जैन तीर्थ | Shree Girnar Jain Tirth

બોલો શ્રી નેમિનાથ ભગવાન ની જય

વર્તમાન ચોવીશીના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના જ્યાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયા છે અને આવતી ચોવીશીના બધા જ તીર્થંકરો જ્યાં નિર્વાણ પામશે તેવું પવિત્ર અને શાશ્વત તીર્થ એટલે ગિરનારજી. ગઈ ચોવીશીના આઠ તીર્થંકરોના 24 કલ્યાનાકો પણ આ જ ક્ષેત્રમાં થયા હતા.

પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં,
રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં;
સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પામતાં,
એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂરે જતાં.

💫ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાય: શાશ્વત છે. પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજયની ઊંચાઈ ઘટીને સાત હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઈ સો ધનુષ્ય રહેશે

💫રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે

💫આ મનોહર એવો ગિરનાર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે તે વિસ્તારથી મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર અને ગઢ જેવા આજુબાજુમાં અન્ય નાના પર્વતો આવેલા છે. જાણે કે ચાર દિશામાં ઝરણાં વહેતાં હોય તેવા ચાર દ્વારોરૂપ ચાર પર્વતો શોભી રહ્યા છે.

💫ગિરનાર ઉપર અનંતા તીર્થકરો આવેલા છે અને મહાસિદ્ધિ અર્થાત મોક્ષપદને પામેલા છે. બીજા અનંતા તીર્થંકરના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે. તેમજ અનેક મુનિઓ પણ મોક્ષપદને પામ્યાછે અને ભવિષ્યમાં પામશે.

💫ગઈ ચોવીસીના બાવીસમાં થયેલા ૧, શ્રી નમીશ્વર ૨, શ્રી અનિલ ૩, શ્રી યશોધર ૪, શ્રી કૃતાર્થ ૫, શ્રી જિનેશ્વર ૬, શ્રી શુદ્ધમતિ ૭, શ્રી શિવંકર અને ૮, શ્રી સ્પંદન નામના આઠ તીર્થંકર ભગવંતોના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને અન્ય બે તીર્થંકર ભગવંતના માત્ર મોક્ષકલ્યાણક ગિરનાર ગિરિવર ઉપર થયા હતા.

💫વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક ગિરનાર ઉપરા થયા છે. તેમાં દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક સહસાવન (સહસ્ત્રામ્રવન) માં તથા મોક્ષકલ્યાણક પાંચમી ટુંક ઉપર થયેલ છે.

💫આવતી ચોવીસીમાં થનારા ૧, શ્રી પદ્મનાભ ૨, શ્રી સુરદેવ ૩, શ્રી સુપાર્શ્વ ૪, શ્રી સ્વંયપ્રભ ૫, શ્રી સર્વાનુભૂતિ ૬, શ્રી દેવશ્રુત ૭, શ્રી ઉદય ૮, શ્રી પેઢાલ ૯, શ્રી પોટ્ટીલ ૧૦, શ્રી સત્કીર્તિ ૧૧, શ્રી સુવ્રત ૧૨, શ્રી અમમ ૧૩, શ્રી નિષ્કષાય ૧૪, શ્રી નિષ્પુલાક ૧૫, શ્રી નિર્મમ ૧૬, શ્રી ચિત્રગુપ્ત ૧૭, શ્રી સમાધિ ૧૮, શ્રી સંવર ૧૯, શ્રી યશોધર ૨૦, શ્રી વિજય ૨૧, શ્રી મલ્લિજિન ૨૨, શ્રી દેવ આ બાવીસ તીર્થંકર પરમાત્માના માત્ર મોક્ષકલ્યાણક તથા ૨૩, શ્રી અનંતવીર્ય ૨૪, શ્રી ભદ્રકૃત આ બે તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક ભવિષ્યમાં ગિરનાર મહાતીર્થ ઉપર થશે.

💫ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના રહનેમિ સહિત આઠ ભાઈઓ, શાંબ, પ્રદ્મુમ્ન આદિ અનેક કુમારો, કૃષ્ણ મહારાજાની આઠ પટ્ટરાણીઓ, સાધ્વી રાજીમતિશ્રી આદિ અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પામ્યા છે અને કૃષ્ણ મહારાજાએ તો આ તીર્થભક્તિના પ્રભાવે તીર્થંકરનામકર્મ બાંધેલ છે તેથી તેમનો આત્મા આવતી ચોવીસીમાં બારમાં તીર્થંકર શ્રી અમમસ્વામી બની મોક્ષપદને પામશે.

💫ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાન ઉપર અવિહડરાગના પ્રભાવે ધામણઉલી ગામના ઘાર નામના વેપારીના પાંચપુત્રો ૧, કાલમેઘ ૨, મેઘનાદ ૩, ભેરવ ૪, એકપદ ૫, ત્રૈલોક્યપદ આ પાંચેય પુત્રો મરીને તીર્થના ક્ષેત્રાધિપતિ દેવ થાય છે.

💫સ્વર્ગલોક, પાતળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ ગિરનારના આકારને હંમેશા પૂજે છે.

💫વલ્લભીપૂરનો ભંગ થતાં ઈંદ્રમહારાજાએ સ્થાપન કરેલ શ્રી નેમિનાથ ભગવાનના બિંબની રત્નકાંતિ ગિરનારમાં લુપ્ત કરવામાં આવી હતી તે મૂર્તિ આજે ગિરનારમાં મૂળનાયકના સ્થાને બિરાજમાન છે.

💫ગિરનાર મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યુન (ઓછા) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીસીના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બ્રહ્મેંદ્ર દ્વારા બનાવવામાં આવેલ હતી. આ પ્રતીમાને પ્રતિષ્ઠિત કર્યાને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આ જ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા દ્વારા પાતળલોકમાં લઈ જઈને પૂજાશે.

💫ગિરનાર ઉપર ઈંદ્ર મહારાજાએ વજ્રથી છિદ્ર પાડીને સોનાના બલાનક – ઝરૂખાવાળું રૂપાનું ચૈત્ય બનાવીને મધ્યભાગમા શ્રી નેમિનાથ પરમાત્માની ચાલીસ હાથ ઊંચાઈની શ્યામવર્ણની રત્નની મૂર્તિ સ્થાપન કરી હતી.

💫ઈંદ્ર મહારાજાએ પૂર્વે બનાવ્યું હતુ તેવું પૂર્વાભિમુખ જિનાલય શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ સ્થાને પણ બનાવ્યું હતું.

💫ગિરનારમાં એક સમયે કલ્યાણકના કારણસ્વરૂપ છત્રશિલા, અક્ષરશિલા, ઘંટાશિલા, અંજનશિલા, જ્ઞાનશિલા, બિંદુશિલા અને સિદ્ધશિલા આદિ શિલાઓ શોભતી હતી.

💫જેમ મલયગિરિ ઉપર બીજા વૃક્ષો પણ ચંદનમય બની જાયા છે તેમ ગિરનાર ઉપર આવનાર પાપી પ્રાણીઓ પણ પુણ્યવાન થઈ જાય છે.

💫જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જાય છે તેમ ગિરનારના સ્પર્શથી પ્રાણી ચિન્મય સ્વરૂપી બની જાય છે.

💫ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી.

💫ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો (જનાવરો) પણ આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે.

💫ગિરનાર મહાતીર્થ એ પુણ્યનો ઢગલો છે.

💫ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે.

💫અનેક વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગિરનારમાં નિવાસ કરે છે.

💫ગિરનાર ગિરિવરના પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ અર્હં પદની ઉપાસના કરતાં ગુફાઓમાં સાધના કરતાં હોય છે.

💫ગિરનાર મહાતીર્થની સેવાથી કેટલાય પુણ્યાત્માઓ આ લોકમાં સર્વસંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે.

💫ગિરનાર મહાતીર્થની સેવાથી પાપી જીવો પણ સર્વકર્મનો સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે.

💫સર્વતીર્થોમાં ઉત્તમ અને સર્વતીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વપાપો હણાઈ જાય છે.

💫ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે.

💫ગિરનાર મહાતીર્થના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો યાચકોનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. અહીં રહેલા ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભુમિઓ અન્યસ્થાને રહેલા એક તીર્થની માફક અહીં તીર્થપણાને પામે છે અર્થાત્ તે બધા પણ તીર્થમય બની જાય છે.

💫ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહીં દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઈચ્છિતફલને આપનારી રસકૂપિકઓ રહેલી છે.

💫ગિરનાર મહાતીર્થની માટીને ગુરૂગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે.

💫ભદ્રશાલ વગેરે વનમાં સર્વઋતુઓમાં બધી જ જાતનાં ફુલો ખીલેલાં હોય છે, જલ અને ફલ સહિત ભદ્રશાલાદિ વનથી વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઈંદ્રોનો એક ક્રીડાપર્વત છે.

💫ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનારા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે.

💫ગિરનાર મહાતીર્થા ઉપર વૃક્ષો, પાષાણો, પૃથ્વીકાય, અપ્-કાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો છે, તે વ્યક્ત ચેતના નહિ હોવા છતાં આ તીર્થના પ્રભાવથી કેટલાક કાળે મોક્ષે જનારા થાય છે.

💫જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રદાન દ્વારા સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.

💫ઉત્તમ એવા ભવ્યજીવો ગિરનાર મહાતીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશા સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય છે.

💫ગિરનાર મહાતીર્થમાં જે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તે સર્વસુખોને ભોગવી પરમપદને અવશ્ય પામે છે.

💫જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે તે શીઘ્ર શિવસુખને પ્રાપ્તકરે છે. ઘેરબેઠા પણ શુદ્ધ ભાવપૂર્વક ગિરનારનું ધ્યાન ધરનાર ચોથાભવે મોક્ષપદને પામે છે.

💫ગિરનાર ગિરિવરના પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે.

💫ગિરનાર ગિરિવર ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા અવસરે પ્રભુજીના સ્નાત્રાભિષેક માટે ત્રણેય જગતની નદીઓ વિશાળ એવા ગજેંદ્રપદકુંડમાં ઉતરી આવી હતી.

💫ગિરનાર ગિરિવરમાં મોક્ષલક્ષ્મીના મુખરૂપે રહેલા ગજેંદ્રપદ (ગજપદ) નામના કુંડના પવિત્રજલના સ્પર્શમાત્રથી જીવોના અનેક ભવના પાપો નાશા પામે છે.

💫ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલથી સ્નાન કરીને જેણે જિનેશ્વર પરમાત્માને સ્નાન (પ્રક્ષાલ) કરાવેલ છે, તેણે કર્મમળવડે લેપાયેલા પોતાના આત્માને પવિત્ર કર્યો છે.

💫ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસુતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે.

💫જગતમાં કોઈપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિ સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર ઉપર ન હોય!

💫આકાશમાં ઉડતાં પક્ષીઓની છાયા પણ જો આ ગિરનાર મહાતીર્થનો સ્પર્શ પામે તો તેઓની પણ દુર્ગતિનો નાશ થાય છે.

💫સહસાવનમાં નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા હતા.

💫સહસાવનમાં (લક્ષારામવન) કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ અને અંતિમ સમવસરણની રચના કરવામાં આવી હતી. અને પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના આપી હતી.

💫સહસાવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

💫સહસાવનમાં કૃષ્ણવાસુદેવ દ્વારા રજત, સુવર્ણ અને રત્નમય પ્રતિમાયુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ થયું હતું.

💫સહસાવન (લક્ષારામવન) ની એક ગુફામાં ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે.

💫સહસાવનમાં શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતિશ્રીજી આદિ મોક્ષપદને પામ્યા છે.

💫સહસાવનમાં હાલ સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા યુક્ત અદ્-ભુત સમવસરણ મંદિર છે.

💫ગિરનાર ગિરિવરની પહેલી ટૂંકે હાલ ચૌદ-ચૌદ બેનમૂન જિનાલયો ગિરિવર તિલક સમાન શોભી રહ્યા છે.

💫ભારતભરમાં મૂળનાયક તરીકે તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળી સિદ્ધાત્મા શ્રી રહનેમિનું એક માત્ર જિનાલય ગિરનાર ગિરિવર ઉપર છે.

💫શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્યત્માઓને સહાય કરનાર ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવી આજે પણ હાજરાહજુર છે.

From : Jainam Jayati Shasanam